બધા જીવો દુ:ખરહિત અખંડ સુખની ઈચ્છા રાખે છે
બધામાં પોતાના આત્મા માટે પ્રેમ જોવા મળે છે અને
પ્રેમનું કારણ ફક્ત સુખ છે,તેથી એવું સુખ મેળવવા માટે
મનુષ્યે પોતાના આત્માને જાણવો જોઈએ,જેને ગાઢ નિદ્રાની
મન વગરની અવસ્થામાં પોતાના સ્વરૂપ તરીકે દરેક અનુભવે છે
એ માટે “હું કોણ છું ?”એવી શોધરૂપ જ્ઞાનમાર્ગ મુખ્ય સાધન છે .
“ચાલતો જા”
“ચાલતો જા”
જયોત સળગાવી, ઇસારે ચાલતો જા,
સૃષ્ટિના અદભૂત નજારે ચાલતો જા.
વાત સૌની સાંભળી’લે પ્રેમથી, પણ-
સાવ ભીતરના અવાજે ચાલતો જા.
આમ સસલાભાઇ માફક દોડશો નહિં,
આ ગઝલ અનુભવ લખાવે, ચાલતો જા.
બે-ઘડી સૂકુંન તને મળશે જ જીવા?
કે નદીઓના કિનારે ચાલતો જા.
કેટલાં ફૂલો પ્રભુ ! દ્વારે મુકયા, ને –
તું કહે, આગળ મુકામે ચાલતો જા !!
લાગણી શાને છળે છે શું ખબર? આ –
માનવીઓના પ્રહારે ચાલતો જા !!
આટલી જલ્દી કબરમાં પગ ન મુકશો?
ઓ ” અમન ” પરવરદીગારે ચાલતો જા.
કમલેશ ચૌધરી – ” અમન ”
ગાલગાગા / ગાલગાગા / ગાલગાગા.
ધબકાર છે….!!! -અશોકભાઈ વાવડીયા
પોતાના સ્વ સ્વરૂપ તરફ લઇ જતી શ્રી અશોકભાઈ વાવડીયાની ખુબ જ સુંદર રચના
ધબકાર છે….!!!
જીત ખોટાની, ખરાની હાર છે,
જીવવું લાગે હવે બેકાર છે.
પોતાના જાણી કરી દરકાર છે,
એટલે મીઠી મધુર તકરાર છે.
અનુભવી શકશો તમે, દેખાય ના,
લાગણીભીના હ્રદય ધબકાર છે.
બુધ્ધિથી નિર્માણ તનનું શક્ય છે,
પ્રાણ અંદર રેડવો પડકાર છે.
સત્ય રાહે ચાલવું કપરું ઘણું,
લાગશે તલવારની એ ધાર છે.
માનવી રફતારથી ભાગી રહ્યો,
ને અકસ્માતોની બસ ભરમાર છે.
એક ઇશ્વરનો નથી આકાર કોઈ,
એમની રચના, જગત સાકાર છે.
નેક કામોમાં તું જો નૈકી કરે,
આપવો મારે ય પણ સહકાર છે.
બ્હારથી તું સાજ-શણગારે ભલે,
મારે મન આત્મા ખરો શણગાર છે.
-અશોક વાવડીયા “રોચક”ashok
જ્ઞાનસુધા બિંદુ
* જેમાં સંપૂર્ણ વિશ્વ સ્થિરતાપૂર્વક રહે છે,જે બધા લોકોનો
માલિક છે ,જેનાથી બધા લોકો ઉત્પન્ન થાય છે,જેને કારણે
આ બધા લોકો સત્તા પ્રાપ્ત કરે છે અને જે સર્વરૂપ છે, કેવળ
એ સયનું જ વાસ્તવિક અસ્તિત્વ છે .આવો ,આપણે બધા
હૃદયમાં વિદ્યમાન એ સત્ય-સ્વરૂપ આત્માની ઉપાસના
કરીએ .
* હે વીર ! જીવનની વિવિધ અવસ્થાઓની સૂક્ષ્મ
તપાસ કરીને,મન વડે પરમ સત્યની એ અવસ્થામાં
દ્રઢતાથી અને સ્થિરતાથી રહીને સદૈવ જગતમાં તારો
ભાગ ભજવ .તેં બધા પ્રકારના આભાસોના કેન્દ્રમાં સત્યને
જાણ્યું છે .એ સત્યથી કદી પણ પરાડ્મુખ થયા વિના ,
જગતમાં આસક્ત હોવાનો દેખાવ કરીને રમતાં રમતાં
તારી ફરજો બજાવ .
* આત્મનિરીક્ષણ અને આત્મ પૃથ્થુકરણ એ
પરિપૂર્ણ અવસ્થાની દાર્શનિક ખોજનો
પ્રારંભ છે .
* શમથી શોભનારા અને સર્વ પ્રાણીઓ પર
સ્નેહ રાખનારા સજ્જનમાં પરમતત્વ
આપમેળે જ પ્રસન્ન થાય છે .
* પોતાનું જે અસ્તિત્વ છે તે આત્માનું જ સ્વરૂપ છે
* જેનું અસ્તિત્વ છે ,એને જાણનાર અન્ય જ્ઞાતા નથી .તેથી
સત્તા જ ચૈતન્ય છે અને આપણે બધા ચૈતન્ય છીએ .
* જો મનુષ્ય પોતાના હૃદયમાં એના પોતાના સાચા સ્વરૂપને
જાણે,તો એ અનાદિ ,અનંત ,પૂર્ણ સચ્ચિદાનંદ છે .
* જો હું કોણ છું એની તપાસ કરવામાં આવે તો મનુષ્ય પોતે જ
પૂર્ણરૂપ છે .
*સત્તા અને ચૈતન્યરૂપ “હું ને ” અવગણીને ઈશ્વરને શોધવા એ
હાથમાં દીવો લઈને શોધવા બરાબર છે .
* સ્વરૂપ માત્રમાં વિશ્રાંતિ વિના પરમાત્માને જાણવાનું
બીજું કોઈ પણ સાધન નથી .
* જે દ્રશ્ય છે ,તેને જો દ્રશ્યરૂપે જ જો જોવામાં આવે તો
પરમાત્માની પ્રાપ્તિ તો ઘણે દૂર છે ,દ્રશ્ય જગતમાં
દ્રશ્યપણાનું માર્જન કરીને જો બ્રહ્મબુદ્ધિ કરવામાં આવે
તો જ પરમાત્માની પ્રાપ્તિ સુલભ છે .
* પોતાને કર્તા માનનારે કર્મફળ ભોગવવું પડે છે .
પરંતુ આપણે “આ કર્મ કરનાર હું કોણ છું ?”એમ
પૂછીને આત્માને અનુભવએ , તો કર્તુત્વ લુપ્ત
થાય છે ,અને ત્રણે કર્મો નષ્ટ થાય છે .આ નિત્ય
મોક્ષ છે .
* હૃદયકમળમાં ” હું ” એમ પ્રકાશતું ચૈતન્ય શુદ્ધ અને નિષ્પંદ છે .
એમાંથી ઉત્પન્ન થતા અહંકારનો નાશ કરીને એ ચૈતન્ય સ્વયં
મનુષ્યને મુક્તિનો આનંદ બક્ષે છે .આ વાત નક્કી સત્ય છે ,એવી
ખાત્રી રાખો .
* શ્રુતિઓ જેને અજન્મા ઈશ્વર તરીકે વણર્વે છે,એ સદા નિર્ગુણ,
નિરાકાર આત્મા હું છું એ વાત નિસ્સંદેહ છે .
* મૌનના હૃદયમાં ઉત્પન્ન થતી વાણી અનુગ્રહની અવસ્થા છે
મન
મન છે મરકટના જેવું સમજી લેવું
એના ન્યારા ન્યારા છે રંગ ,શું એને કહેવું ?
ઘડી ઘડીમાં બદલાઈ જાય ,જીવનમાં જોવું
મન મસ્તાનું અજબ દીવાનું ,ઘડી ઘડીમાં બદલાય
ઘડીમાં અહિને ઘડીમાં બીજે ,જ્યાં ત્યાં ગોથા ખાય
એ છે એવું મન
મન ભૂલાવે મન લોભાવે ,મનના છે સહુ રોગ
શાંત થાતું નથી મૂરખ ,ભોગવે લાખો ભોગ
અછક્લું ..એવું ..મન
ઘડી એકમાં ગાફિલ બનાવે ,ઘડીમાં ચિંતા અપાર
ભલ ભલાને ભોરવી નાખ્યાં ,ક્ષણું ના લાગી વાર
જાદુગર … એવું .. મન
સ્થિર કદી ના બેસી રહેલું ,જ્યાં ત્યાં ભટકે ગમાર
ભવ સાગરમાં ભૂલું પાડે ,એ મનડું નિરાધાર
ઓરખી …લેવું ..મન
સંગ તણો એને રંગ ચઢે છે ,એવું એ નાદાન
સત્સંગથી એ સીધું રહેતું ,બીજાનું નહિ માન
વિચારી …લેવું …મન
મન જીત્યું તેણે સર્વ જીત્યું ,આ જંગમાં જ મનાય
ચાહક તમારો કહે જેણે મન વશ કર્યું ,તેના જશ ગવાય
ભાગ્ય ….તેનું …..ફર્યું …..
ગઝલ ( અચ્યુત )
ગઝલ
ખુમારી ખુદ મસ્તોની , ખરા ખાખી ખુદા જાણે .
જગત અણજાણ શું જાણે,સમજ વિના ઉલટું તાણે ..
બીજું શું જાણશો બાપુ ? તમે તમને નથી જાણ્યા .
અજાણ્યા છો તમે-તમથી,જીવન પણ છે જ અજાણ્યે ..
જણાતું જાણવાનું શું ? ભણો શું ? ભૂલવાનું શું ?
ખરેખર ડુંલવાનું શું ખરે કોઈ ઓલીયા જાણે ..
અજાણે જાણશો નાં કંઈ,વગર જાણેથી પસ્તાવું
બધાના જાણનારાને પુરા જાણી તરી જાવું ..
તરી જાવું,મરી જાવું,ઠરી જાવું અમરઘરમાં
તું “કૃષ્ણાનંદ”જીવીને મરી જાવું જીવનઘરમાં
જ્ઞાન સાધનમાલા
જ્ઞાન સાધનમાલા પ્રકાશક -સ્વા :સ્વયં જયોતિ તીર્થ
(8)આત્મામાં ભાસતા ભેદનો બાધ કરવો તે વિદ્યા છે ,નહિ કરવા યોગ્ય કર્મો તરફ ધૃણા તે જ લજ્જા છે ; ગુણો એ જ શ્રેષ્ઠ આભૂષણો છે ;સુખ અને દુઃખ બંનેનું અનુસંધાન ન રાખવું તે સુખ છે ;વિષયભોગની ઈચ્છા રાખવી તે દુઃખ છે ;સંસારમાં બંધન કેમ થાય છે તે જાણે તે પંડિત છે ;દેહ વગેરે ઉપર જે અહંબુદ્ધિ રાખેદેહ વગેરેને જ જે આત્મા તરીકે માને તે મુર્ખ છે ;જે માર્ગ મને મોક્ષ પ્રાપ્ત કરાવી આપે છે તે નિવૃત્તિ માર્ગ જ ઉત્તમ છે ;ચિત્તનો જેમાં વિક્ષેપ થાય છે એવો પ્રવૃતિમાર્ગ તે ઉન્માર્ગ છે -ખરાબ માર્ગ છે ;સત્વગુણની વૃદ્ધિ તે જ સ્વર્ગ છે ;તમોગુણની વૃદ્ધિ તે જ નરક છે
-ભા .પુ
(9) કોઈ કહે છે કે ધર્મ તો કેવળ શ્રધાત્મક છે ;કઈ કહે છે કે શ્રદ્ધા વિરુદ્ધ જે પ્રત્યક્ષ સિદ્ધ કરવાની બુદ્ધિ, તે રૂપ છે અમે કહીએ છીએ કે ધર્મ ઉભયરૂપ છે ,બુદ્ધિ તથા શ્રદ્ધા ઉભયરૂપ છે ,ઉભયે એક છે .ધર્મ સમજાય તો જ આચાર,વિચાર,નીતિ,રાજ્ય,વ્યવહાર વગેરે સર્વ નિયમાય ;નહિ તો સુકાન વિનાની નાવની પેઠે ધર્મ વિનાનું મનુષ્યનાવ ગમે ત્યાં અથડાય ભાંગી જાય .જીવ માત્રે પરમાનંદ શામાં માનવો ,પોતાના સ્વભાવને કેમ સમજવો ,ટૂકમાં મનુષ્યનું મનુષ્યત્વ ,મનુષ્યરૂપે જીવવાનું સાર્થક શામાં માનવું ,એ નિશ્ચય થાય ,તેનું નામ ધર્મ, અને તે નિશ્ચય થયો એટલે તુરંત તદનુસાર નીતિ ,આચાર વગેરે સહજ પ્રાપ્ત થવાના .માટે ધર્મ વિચાર એ પ્રથમથી જ આવશ્યક છે ;ને તે કર્યા વિનાનું જીવિત મરણ જ છે .
(10) આત્મજ્ઞાન વિના આત્મજાગૃતિ અસંભવ છે ;વેદોક્ત કર્મકાંડ ,પોરાણિક ભક્તિ ,તંત્રોકત ઉપાસના ,પતંજલિ અને શાક્તોનો યોગમાર્ગ અને એ સૌની પીઠમાં રહેલું આત્મજ્ઞાન આપણા ભારતવર્ષની સનાતન વિદ્યા અને આર્યોની અમૂલ્ય સંપતિ છે .
* * * * *
રાજકીય અને સામાજીક નિયમોમાં ઉત્ક્રાંતિ થતાં રાજ્યલોભ તથા સમાજસત્તાનો મદ વધી પડ્યો ;આર્થિક પરિસ્થિતિ તંગ બની અને એ બધામાં સંયમ અને સુધારણા રૂપ જે ધર્મભાવના તે સત્તાના મદમાં અસ્તવ્યસ્ત થઇ .ધર્મભાવનાની શિથિલતામાં બાહ્યાચાર અને બાહ્યધર્મને જ પ્રજાએ પકડી રાખ્યાં ;ક્રિયાકાંડ પાછળનું આત્મજ્ઞાન ગયું ,અને સમસ્ત પ્રજાનો જીવનવ્યવહાર યંત્રમાનવના જેવો અજ્ઞાન મૂલક બન્યો .
સ્વયં ઈચ્છા
સ્મરણ કરવું નહિ કરવું ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
કહીં જન્મી કહીં મરવું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
ભૂમિમાં ખોદવો ફૂવો , સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
નીકળવું ખારું કે મીઠું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
બની લગ્ની ગ્રહી સુત્રી ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
જન્મવા પુત્ર કે પુત્રી ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
વિચરવું યુધ્ધના પંથે ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
વિજય મળવો કે ના મળવો ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
ચરણમાં જઈ નાવમાં ધરવો ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
પરંતુ પાર ઉતરવું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
જગતની જાણવી જુક્તિ ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
હો “કૃષ્ણાનંદ “ની મુક્તિ ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
~ છે રાહ મસ્તીના જુદા જુદા ~
મસ્તી મસ્તી સૌ કોઈ કહે છે ,રાહ મસ્તીના જુદા જુદા
સૌ મન મસ્તીમાં મસ્ત રહે ,રાહ મસ્તીના જુદા જુદા
મન મસ્તી એ મસ્તી નહિ , એ મસ્તી શા કામની
ખેલાડીઓના આ ખેલ નહિ , છે રાહ મસ્તીના જુદા જુદા
મસ્તી નથી એ જ્ઞાનમાં ,મસ્તી નથી એ ધ્યાનમાં
એ મસ્તી ગુરુસાનમાં , એ નામ લે બે ભાનમાં
છે મોતના અંજામમાં , રાહ મસ્તીના જુદા જુદા
આત્મવત સર્વ ભૂતેષુ ,એ મસ્તીનો મંત્ર છે
મીરાં હળાહળ પી ગયા ,એ રાહ મસ્તીના જુદા જુદા
સાચી મસ્તી પ્રભુ નામની,બીજી મસ્તી નહિ કામની
સત ચિત્ત આનંદ ધામની ,એ છે રાહ મસ્તીના જુદા જુદા
!!~!!~ જય શ્રી ક્રિષ્ના !!~!!
આતમ કદી જાગે નહી એવી કલાને દફન કર
શબ્દો કદી ઉતરે નહી કાગળ મહી તો મનન કર
તારી કલમ રીસાઇ તો બાળક ગણીને જતન કર
આતમ થકી ઉજળી રહે એ સાધના તું સદા કર
આતમ કદી જાગે નહી એવી કલાને દફન કર
લય તાલ છંદોની બધી ભરમારથી ડર નહી તું
મા ગુર્જરીની ખાણમાંથી શબ્દનું ઉત-ખનન કર
ભાવક બની જોતો રહે સાક્ષર લખે જે અહીંયા
માની પ્રસાદી એમની રચના સદા આચમન કર
ફૂલો સમો તું ભાવ ઇચ્છે..પણ કદી નામળે તો
રણની જગા એ તું સદા માટે શબ્દનું ચમન કર
તું નામની પાછળ નહી પણ કામને ધ્યાનમા લે
ના રાખતો ફળની અહીં ઇચ્છા.. સદા તું કરમ કર
(નરેશ કે.ડૉડીયા)